બનાસકાંઠા: જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે ત્યારથી ધાનેરા, દિયોદર અને કાંકરેજમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવાની માંગ સાથે આજે ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભાજપ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સહિત ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ જોડાયા હતા.
થરાદ વાવ અલગ જિલ્લો બનાવવામાં આવ્યો છે ત્યારથી ધાનેરા, કાંકરેજ અને દિયોદર તાલુકામાં વિરોધ શરૂ થયો છે. છેલ્લા નવ દિવસથી ધાનેરા અને કાંકરેજ તાલુકાના લોકો બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા અને કાંકરેજને રાખવાની માંગ સાથે વિરોધ થઈ રહ્યો છે. જ્યારે દિયોદરના લોકો દિયોદરને મુખ્ય મથક બનાવી અલગ જિલ્લો બનાવવા માંગ કરી રહ્યા છે.
ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે ધરણા કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ, ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ સહિત ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે વિવિધ સંસ્થાના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
ધાનેરાના ધરણા કાર્યક્રમમાં ‘’બેસેગ તો કટેંગે’’ નું સૂત્ર પણ ચર્ચાનો વિષય બન્યો હતો. લોકોને નેતાઓની વાતમાં આવ્યા વગર ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે લડત લડવા કોંગ્રેસ કાર્યકરી પ્રમુખ ડમરાજી રાજગોરે હાકલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ધાનેરા તાલુકા હિત રક્ષક સમિતિ દ્વારા ધરણા બાદ ચિમકી ઉચ્ચારી હતી કે જો ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં નહીં આવે તો ધાનેરાના લોકો ટ્રેક્ટરો લઈને ગાંધીનગર પહોંચશે. ગાંધીનગર જઈને વિધાનસભાનો ઘેરાવો કરશે.